કર્મ અને ફળ
કર્મ અને ફળ
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन |
શ્રીમદ્ ભાગવદ્ ગીતાના બીજા અધ્યાયના ૪૭ મો આ વિખ્યાત શ્લોકનો અર્થ આપણે સૌ જાણીએ છીએ કે "કર્મ પર તારો અધિકાર છે ફળ પર નહી " અહીઁ કર્મ એટલે કામ, કાર્ય કે કર્તવ્ય.
આપણાં શાસ્ત્રોથી લઈને નવલકથા, ફિલ્મો અને વેબ સિરીઝ સુધીમાં કર્મ વિશે ખૂબ લખાયું અને દર્શાવાયું છે.
અને તેમ છતાં પણ આપણા જેવા સામાન્ય માણસને ઉપરના શ્લોકનો અર્થ પૂછીએ તો જવાબ એક સરખો જ મળે " કામ કર પણ ફળની અપેક્ષા ન રાખ" બીજા શબ્દોમાં કહીએ તો એવું કાર્ય જેમાં કોઈ પરિણામની અપેક્ષા નથી. ખરેખર શું એવું કોઈ કાર્ય હોય જેનું પરિણામ ન મળવાનું હોય તેમ છતાં પણ કરવાની ઈચ્છા થાય ? હું માનું છું કે આ વાત લગભગ સામાન્ય માણસ માટે અસંભવ છે.
સંસ્કૃતનો એક શ્લોક છે
प्रयोजनमनुद्दिश्य न मन्दोपि प्रवर्तते।
અર્થાત્ " પ્રયોજન વગરનું કાર્ય તો મંદબુદ્ધિની વ્યક્તિ પણ નથી કરતી"
પ્રિયજનો , આ બાબત આપણે એક સાવ નાના એટલે કે ત્રણ - ચાર મહિનાના બાળકનું ઉદાહરણ લઈએ તો જે બાળક તદન નિર્દોષ અને કુદરતના અભેળ અંશ સમાન છે, જે સ્વાર્થ,લોભ,લાલચ અજાણ છે એવું બાળક જ્યારે એની માતાનું સ્તનપાન કરતું હોય ત્યારે કોઈ કારણવશ માતાના એક સ્તનમાંથી ધાવણ ન આવતું હોય તો આટલું નાનું બાળક પણ જ્યારે એને ભૂખ લાગશે ત્યારે જે સ્તનમાંથી ધાવણ નહી આવતું હોય એને છોડીને જેમાંથી ધાવણ આવતું હશે એ સ્તન જ પસંદ કરશે.
જો શ્લોક મુજબ ફળ વગરનું કાર્ય કરવાનું હોય તો ધાવણ આવે કે ન આવે બાળકનું કાર્ય છે સ્તનપાન કરવાનું, પણ એ એવું નથી કરતું કારણ ? કારણ કે અમુક પ્રયત્ન પછી બાળકને એટલું સમજાય છે કે આ સ્તનમાંથી ધાવણ નથી મળતું એટલે કે એમ કરવાથી કોઈ પરિણામ નહી મળે એ કાર્ય નિરર્થક છે એટલે એ ધાવણ ન આવતા સ્તનને સ્તનપાન માટે છોડી દેશે.
જો સાવ નાના અને નિર્દોષ બાળકને પણ ફળ ન મળે તો કાર્ય નથી કરતું તો વયસ્ક અને સમજદાર માણસ એ કાર્ય કેવી રીતે કરી શકે ?
આપણાં શાસ્ત્રો અને ધર્મમાં તો ભાર પૂર્વક કહેવામાં આવ્યું છે કે કર્મનું ફળ અવશ્ય મળે છે કર્મ ક્યારેય અફળ નથી હોતું.
પરંતુ વાસ્તવિક જીવનમાં આ શક્ય છે ? શું ખરેખર કોઈ વ્યક્તિ જે કર્મનું કોઈ જ પરિણામ ન મળવાનું હોય તેવું કર્મ કરી શકે ? કરી શકે તો એકાદ બે વખત કરી શકે પરંતુ શું આજીવન પર્યંત એ શક્ય છે ?
આધુનિક જીવન અને પશ્ચિમિકરણ ના કારણે અદ્રશ્ય થઈ ગયેલું "શુભ - લાભ" ના અક્ષરો થોડા વર્ષો પહેલાં દરેક ઘરના પ્રવેશ દ્વાર બહાર અવશ્ય લખેલું જોવા મળતું. એ સમયે શુભ લાભ એ આપણી સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક હતું. શુભ - લાભ નો અર્થ એ થાય કે પહેલાં શુભ કરો પછી લાભની અપેક્ષા રાખો, આમાં લાભ કર્યા પછી શુભની ફળની અપેક્ષા રાખવાનો મર્મ સમાયેલો છે. તો ભગવાન શ્રી કષ્ણએ ગીતા સાર માં કહ્યું એ ખોટું ? કારણ કે જે ગીતા એમાં અપાયેલા સંદેશ માટે વિશ્વ વંદનીય હોય તો એમાં લખાયેલું ખોટું હોય જ કેમ શકે ? કદાચ શ્લોકને સમજવામાં આપણી ભૂલ થતી હોય શકે. ચાલો આખો શ્લોક જોઈએ
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन |
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ||
હવે આ શ્લોકમાં રહેલા શબ્દોના અર્થ જોઈએ
कर्मण्येवाधिकारस्ते फलेषु कदाचन |
અહીં ;
कर्मण्य :કાર્ય માં
एव: માત્ર
अधिकार: અધિકાર/ વશ
ते : તારો
मा: નહી
फलेशु :ફળ
कदाचन: હંમેશા, કાયમ
અર્થાત્ કર્મ કરવું કે નહી તે અંગેનો અધિકાર(વશ/કંટ્રોલ) માત્ર તારા હાથમાં છે.
પરિણામ પર તારો અધિકાર (વશ/કંટ્રોલ) હંમેશા નથી
મતલબ કે કાર્ય નું પરિણામ તારા હાથમાં નથી.
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ||
અહીં;
मा : નહી
कर्मफलहेतु: કર્મ ફળ માટે
भूर्मा: હોવું
ते:તું
सङ्गो: આશક્ત
अकर्मणी: કાર્ય ન કરવું
અર્થાત્ પરિણામને ધ્યાને લઇને તું કાર્ય કરવાની ત્યજી ન દે.
હવે આ શ્લોક જે સંદર્ભમાં કહેવાયો હતો તે જોઈએ
જ્યારે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર પાંડવ અને કૌરવોની અઢાર અક્ષોહણી સેના સામસામે ઊભી હતી ત્યારે સમા પક્ષે પોતાના પૂજનીય વડીલ,ગુરુ,બાંધવોને જોઈને અર્જુન કહે છે કે ભીષ્મપિતામહ ,ગુરુ દ્રોણ, કર્ણ જેવા અજેય યોદ્ધાઓને હરાવીને આ યુદ્ધ જીતવું અસંભવ છે ત્યારે શ્રીકૃષ્ણ એને ઉપરનો શ્લોક કહી સમજાવે છે. હવે આપણે આ પરિસ્થિતિને ધ્યાને લઇ આ શ્લોકનો અર્થ છેલ્લેથી શરૂ કરીયે તો,
"ફળ(પરિણામ)ની અપેક્ષા રાખીને કર્મ ન કરવું( યુદ્ધ ત્યજી દેવુ) એના કરતાં તો જે પરિણામ પર તારો વશ(અધિકાર) નથી એ પરિણામની ચિંતા કર્યા સિવાય જે કાર્ય (લડવું) તારા અધિકારમાં એ કાર્ય કર(યુદ્ધ કર)"
કર્મ અને ફળ જેના પર આખી સૃષ્ટિ ચાલે છે અને આ સૃષ્ટિના કેન્દ્રબિંદુ જેવા મહાન શ્લોકનો અર્થ આપણે માત્ર એક શબ્દ "અધિકાર" ને કારણે તદન અલગ જ લઇ લીધો.
"કર્મ પર તારો અધિકાર છે એના ફળ પર તારો અધિકાર નથી"
અહી આપણે અધિકાર એટલે હક્ક માની લીધું એના બદલે વશ/કંટ્રોલ મૂકીને જોઈએ તો,
"કર્મ કરવું એ તારા વશમાં છે એનું પરિણામ તારા વશમાં નથી"
વાસ્તવમાં શ્રી કૃષ્ણ આ શ્લોકમાં એવું કહ્યું જ નથી તારો અધિકાર કર્મ પર છે એના ફળ પર નહી. આપણે જ એનો અર્થ અલગ લીધો છે.
શ્રી કૃષ્ણએ તો મચ્છ વેધન સમયે અર્જુને જ્યારે અસ્થિર જલના પ્રતિબિંબમાં જોઈને અસ્થિર માછલીની આંખ કેમ વીંધી શકાય ? એવી દ્વિધા વ્યક્ત ત્યારે કહ્યું હતું કે
"હે પાર્થ વાસ્તવમાં અસ્થિર પાણી અને માછલી એ મનનું પ્રતીક છે, પહેલાં તું તારા મનને સ્થિર કર એક વખત મન સ્થિર થશે તો લક્ષ્ય સ્પષ્ટ થશે અને અવશ્ય તું લક્ષ્યવેધ કરી શકીશ". અહીઁ શ્રીકૃષ્ણ સ્પષ્ટ રૂપે કહે છે કે મનને સ્થિર કરી કર્મ કર ફળ ચોક્કસ મળશે.
આપણે મોટે ભાગે કોઈ કાર્ય કરવાનું હોય તો પહેલાં એના પરિણામ વિશે જ વિચારીયે છીએ અને એટલે જીવનમાં આપણે મોટાભાગના કાર્ય શરૂ જ નથી કરી શકતા કારણ કે આપણને સફળ અને નિષ્ફળ પરિણામ જ દેખાય છે.
પછી એ અભ્યાસ હોય, ધંધો વ્યવસાય હોય સંબંધ હોય કે અન્ય કોઈ પણ બાબત આપણી દૃષ્ટિ પરિણામ લક્ષી બની ગઈ છે જેના કારણે અનેક મહાન કાર્ય શરૂ થતાં પહેલાં જ અટકી જાય છે.
આપણાં માંથી મોટાભાગનાં વ્યક્તિના મનમાં એક વાતનો રંજ હશે કે કર્મ તો કરીયે છીએ પણ એનું પરિણામ નથી મળતું... પરંતુ પ્રિયજનો કર્મ ક્યારેય અફળ હોતું જ નથી, જરૂર છે પૂરા તન મનથી કર્મ કરવાની કારણ કે આપણે જે કાર્ય કર્યું હોય અને એનું પરિણામ ન મળ્યું હોય એવા કાર્ય વિશે આપણે આપણે આત્મ મંથન કરશું તો સ્પષ્ટ સમજાઈ જશે કે જે જે કાર્યના પરિણામ નથી મળ્યાં અથવા વિપરીત મળ્યાં હોય તેવા કાર્ય આપણે અધૂરા મનથી કરેલા જ કરેલા જણાશે. એવા કાર્ય કરતી વખતે આપણું મન અન્ય કાર્યમાં કે અન્ય બાબતોમાં પણ ભટકતું હશે.
એટલે જ પ્રિયજનો જીવનમાં ચાહે કોઈ પણ કાર્ય હોય પછી એ નોકરી, ધંધો -વ્યવસાય, સંબધ કે અન્ય કોઈ પણ હોય શકે એમાં તમારું સંપૂર્ણ આપો, સો ટકા ઇન્વોલમેન્ટ સાથે કાર્ય કરો એ કાર્યમાં એકાકાર થઈ જાઓ પછી જુઓ કે પરિણામ અવશ્ય મળશે.
છેલ્લે એટલું યાદ રાખીએ કે
कर्तव्येन कर्ताभि रक्षयते
કર્તવ્ય કરનાર કરતાની રક્ષા કુદરત કરે છે.
Comments
Post a Comment