ફટકેલો ફાગણ

ફટકેલો ફાગણ


દેવ ડી ચાવડા

તા.05/03/2023




होरी खेलन में चली, किस विध खेली जाय  ।

जब उतरे रंग पियु का तब ही तो खेली जाय ।।


યૌવનની વસંતને કેશુડાના રંગે રંગી પ્રીતની હોલી ખેલતો એટલે ફટકેલો ફાગણ... 

કાઠિયાવાડમાં કોઈ સાંઢ, આખલો કે માણસ માથાભારે થઈ જાય એના માટે ફટકેલો શબ્દ વપરાય છે ફટકેલો એટલે  મદમસ્ત ...

વસંત અને તેમાં આવતી હોળી એ એક એવો તહેવાર છે કે દરેક યુવા રદય પોતાના કેશુડાના રંગે પોતાના પ્રેમી પાત્રને  રંગવા આતુર થઈ જાય. એ ગોકુળની ગલીઓ હોય, ગામનો ગોંદરો હોય કે મેટ્રોપોલિટન શહેરની પૉશ સોસાયટી પણ દરેકના રદયમાં ફાગણિયાના શૂર તો  સરખાજ વાગે છે. જીવનમાં કદાચ હોળીનો રંગ જ એવો છે જેના છાંટા તો શરીર પર પડે છે પણ એના રંગે રદય રંગાય છે

ભારતમાં ઋતુઓનો રાજા એટલે વસંત અને એમાં પણ ફાગણ એટલે વસંતનું યૌવન અને આ યુવા રાજાના મુકુટની કલગી સમો કેશૂડો જાણે કે પોકારી પોકારીને કહેતો હોય કે,

જીવન જર્જરિત થઈ જાય તે પહેલાં 

આ મદમસ્ત મૌસમના રંગે રંગાઈ જા.




મિત્રો આ તો વાત થઈ હોળીના રંગ અને પ્રેમની, પરંતુ શું તમે જાણો છો કે હિન્દુઓના દરેક તહેવાર પાછળ આપણું વૈદિક વિજ્ઞાન અને કોઈ ચોક્કસ તાર્કિક કારણ રહ્યું છે. તો આવો જાણીએ...

હોળીનું પૌરાણિક મહત્વ તો આપણે જાણીએ છીએ એ દિવસે હોલિકા નામની રાક્ષશી પ્રહ્લાદને બાળવા માટે ખોળામાં લઈને અગ્નિમાં બેઠી અને પરંતુ પ્રહ્લાદના બદલે એ પોતે જ બળી ગઈ. વાસ્તવમાં આ કથા આપણને એ બોધપાઠ આપે છે કે અગ્નિમાં હંમેશા અનિષ્ટ તત્વોનો નાશ થાય છે. સત્ય અગ્નિમાંથી પણ સાંગોપાંગ બહાર આવી શકે છે.

વર્તમાન સમયમાં પશ્ચિમના રંગે રંગાયેલા આપણે શું એ જાણીએ છીએ કે  

ભારતીય રાષ્ટ્રીય પંચાંગ (શક કેલેન્ડર) એ 1957 માં કેલેન્ડર રિફોર્મ કમિટી દ્વારા સ્થાપવામાં આવ્યું હતું, જે લિનિસોલર કેલેન્ડરને માન્યતા આપે છે જેમાં લીપ વર્ષ ગ્રેગોરીયન કેલેન્ડર સાથે સંબંધ ધરાવે છે, જે ચૈત્ર સુદ એકમથી  શરૂ થાય છે અને ફાગણ વદ અમાસના રોજ પૂરું થાય છે.  

 

હોળીનું સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ:


આપણી સંસ્કૃતિ અનુસાર ફાગણ એ વર્ષનો છેલ્લો મહિનો છે અને હોળી એ વર્ષનો છેલ્લો તહેવાર છે.

ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. પહેલાંના સમયમાં મુખ્યત્વે ખેતીમાં બે પાક લેવામાં આવતા

ચોમાસુ જેમાં; જુવાર,બાજરી,તલ,અડદ, મગ, મઠ, કાંગ વગેરે ત્યારે મગફળી,કપાસ,જીરું, ઘઉં વગેરેનું વાવેતર આપણે ત્યાં ન્હોતું થતું

શિયાળુ; 

જેમાં મુખ્ય ચણા અને જુવાર વગેરેનું વાવેતર કરવામાં આવતું

વર્ષનો અંતિમ મહિના ફાગણ એ વસંત ઋતુમાં આવે છે અને આયુર્વેદ મુજબ વસંતમાં કફનો પ્રકોપ ખૂબ હોવાથી મોટા ભાગે ઉધરસ જેવા રોગો થતાં.

શિયાળો પૂર્ણ થતાં ખેડૂતોનો પાક ઘરે આવતો અને આ ખુશીમાં સામૂહિક યજ્ઞ માટે ગામના પાદરમાં હોળીની નિશ્ચિત કરાયેલી જગ્યા પર એક નાનો ખાડો ખોદી તેમાં એક મોટા કુંભમાં ચણા વગેરે કઠોળ રાખી પાણીથી ભરીને ઢાંકીને મૂકવામાં આવતો ત્યાર બાદ તેની ઉપર ગાયના છાણના છાણા વડે હોળી ખડકીને પ્રક્ટાવી તેમાં તાજેતરમાં થયેલા પાક ચણા અને જુવારને હોમવામાં આવતા. સાથોસાથ નાળિયેર પણ પધરાવવામાં આવતા. અને ગામના તમામ આબાલ વૃદ્ધ હોળીની પ્રદક્ષિણા કરતાં ચૈત્ર મહિનાથી  હોળી પહેલા વર્ષ દરમિયાન જન્મેલા બાળકોને હોળીની ખાસ પ્રદક્ષિણા કરાવવામાં આવતી.  જેનાથી હોળીમાં રહેલા ગાયના છાણ, ચણા, જુવાર અને નાળિયેરના ધુમાડાના કારણે કફનો પ્રકોપ શાંત થતો. આ દિવસોમાં દાળિયા, ધાણી (આજના પોપકોર્ન) અને ખજૂર ખાવામાં આવતા. 

વર્ષનો છેલ્લો પાક લેવાય ગયો હોવાથી ખેડૂતને ત્યાં સાથી તરીકે વાર્ષિક રીતે કામ કરવા બંધાયેલા વ્યક્તિઓ હોળીની પ્રદક્ષિણા કરતા પરંતુ તેને મૂળ ખેડૂત સાથે જો કરાર ચાલુ રાખવા હોય તો નારિયેળ ન પધરાવતા જેથી બીજા દિવસે એ કરાર ફરી નવી શરતો મુજબ ચાલુ કરવામાં આવતા.  પરંતુ જો સાથીને ખેડૂત સાથે રહેવાની ઈચ્છા ન હોય તો એ હોળીમાં નાળિયેર પધરાવતા એનો અર્થ એ કે ખેડૂત સાથેના વાર્ષિક કરાર પૂરા અને હવે એ એની સાથે કામ કરવા નથી માંગતો. આના પરથી આપણી ભાષામાં એક શબ્દ પ્રયોગ પ્રચલિત છે “હોળીમાં નારિયેળ પધરાવી દેવું” "નારિયેળ નાખી દેવું" અર્થાત્ છૂટું થઈ જવું કે સંબંધ પૂરા કરવા.

તેં ઉપરાંત હોળી જ્યારે પ્રકટે ત્યારે દરેક યુવાનો એમાંથી એક એક સળગતું છાણું લઈને પોતાના ઘરે લઈ જતા અને ઘરે ફળિયામાં એક નાની હોળી ખડકેલી હોય તેને પ્રક્ટાવવામાં આવતી. આમ ઘરે ઘરે હોળી પ્રગટતી પરંતુ આપણે આજે ભાષામાં એનો અલગ અર્થ લઈને દરેક ઘરમાં મુશ્કેલીઓને “ઘરે ઘરે હોળી છે”  એના માટે વાપરીએ છીએ.

ફાગણ મહિનાની શરૂઆતમાં લલણી કરીને ગામના ખળાવડમાં ( સપાટ જમીનને છાણ થી લિંપી તૈયાર કરવામાં આવતું મોટું વર્તુળ જેને ખળું કહેવાય છે. અને પાકને આ ખળા પર રાખી એના પર બળદને ચલાવવામાં આવે છે અથવા લોકો એને હાથથી કાઢે છે) લઇ જવામાં આવતો અને તેના રક્ષણ માટે ગામના યુવાનો ભેગા થતા અને વિવિધ પ્રકારની શારીરિક રમતો રમતા.

મોડી રાત્રે હોળી સંપૂર્ણ ઠરી જાય પછી તેમાં રાખેલા કુંભને બહાર કાઢી આખા ગામમાં તેમાં રહેલા કઠોળનો પ્રસાદ આપવામાં આવતો.

રંગોની ધુળેટી




હોળીનો બીજો દિવસ એટલે ધુળેટી આ દિવસે યુવાનો સીમ, વાડી વગડામાંથી કેશુડા લાવી આ ફૂલોનેં એક મોટા વાસણમાં પાણી સાથે નાખીને ગરમ કરતા એટલે પાણી કેસરી રંગ બની જતું. ત્યારબાદ આ રંગથી હોળી રમવામાં આવતી. 

શિશિર ઋતુમાં સૂકા પવન અને વાતાવરણના કારણે ચામડીના રોગો થતા જે દૂર કરવા માટે કેશુડાના ફૂલ શ્રેષ્ઠ ઔષધ છે આમ મસ્તી અને તંદુરસ્તીનો અજબ સંયોગ રચાતો.

આજે આપણે આપણી આ પ્રાચીન પરંપરા ભૂલી કૃતિમ અને ખતરનાક કેમિકલયુક્ત કલરનો હોળી રમવા ઉપયોગ કરી રહ્યા છીએ જેનાથી ચામડીના અને ફેફસાના રોગો થાય છે. આમ આધુનિક હોળીના રંગ પ્રાચીન પરંપરાથી તદન વિપરીત છે.  

આવો આધુનિક હાનિકારક હોળીને બદલે પરંપરા તરફ પાછા વળીએ 











Comments

  1. હોળીના તમામ મિજાજ, મહત્વ અને જીવન સાથેનું જોડાણ ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે... ઘણી બાબતોની લોકોને ખબર નથી હોતી.
    માહિતીપ્રદ અને રસાળ વર્ણન.

    ReplyDelete
  2. ખૂબ જ સરસ માહિતી જે અત્યારે ઘણા લોકો ને ખબર નથી હોતી

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કર્મ અને ફળ

વન્ડર્સ ઓફ બ્રેઇન